પાકિસ્તાન પ્રથમ સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે ત્યારબાદ બીજા દિવસે એટલે કે 10 નવેમ્બરે ભારત-ઇંગ્લેન્ડ આમને-સામને હશે.
ઈંગ્લેન્ડના બેટ્સમેન ડાવિડ મલાન ઈજાના કારણે ભારત સામે ટી-20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં રમવા માટે શંકાના દાયરામાં છે. શનિવારે શ્રીલંકા સામેની ચાર વિકેટની જીત દરમિયાન મલાનને ઈજા થઈ હતી. ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન T20 બેટ્સમેનને શ્રીલંકાની ઇનિંગ્સ દરમિયાન મેદાન છોડવું પડ્યું હતું અને તે બેટિંગ માટે પરત ફરી શક્યો ન હતો.
વાઈસ કેપ્ટન મોઈન અલીએ કહ્યું કે મલાનની ઇન્જરી ઠીક નથી. “તે એક મોટો ખેલાડી છે અને લાંબા સમયથી રમી રહ્યો છે. તે અમારા શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે પરંતુ તેની ચોટ ઠીક લાગી રહી નથી. વિશ્વના કોઈપણ ભાગમાં ભારત સામે રમવું ખાસ છે કારણ કે તે ક્રિકેટમાં તે મોટી તાકાત છે અને તેના ચાહકો અસંખ્ય છે.
35 વર્ષીય બેટ્સમેનની જગ્યાએ હવે ટીમમાં એકમાત્ર ઓપનર ફિલ સાલ્ટને સ્થાન આપવામાં આવ્યું છે. જો કે ડેવિડ વિલી, ક્રિસ જોર્ડન અને ટાઇમલ મિલ્સનો ઉમેરો કરીને ઇંગ્લેન્ડ તેમની ઓલરાઉન્ડ ક્ષમતામાં પણ વધારો કરી શકે છે. મલાનનો સર્વોચ્ચ સ્કોર 37 બોલમાં 35 રન હતો જે આયર્લેન્ડ સામે આવ્યો હતો. ભારત જેવી મોટી ટીમ સામે સેમીફાઈનલમાં ડેવિડ મલાનની ગેરહાજરી ઈંગ્લેન્ડ માટે કોઈ આંચકાથી ઓછી નથી. યાદ રાખો કે ઈજાગ્રસ્ત જોની બેરસ્ટો પહેલેથી જ વર્લ્ડ કપ રમી રહ્યો નથી.
બીજી તરફ ભારત આ વખતે સૌથી વધુ 8 પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં પહોંચી ગયું છે. ઝિમ્બાબ્વે સામેની એકતરફી જીત ટીમનો ઉત્સાહ સાતમા આસમાન પર હશે. ભારતના 187 રનના લક્ષ્યનો પીછો કરતા ઝિમ્બાબ્વે 17.2 ઓવરમાં 115 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અશ્વિન (22 રનમાં 3 વિકેટ), મોહમ્મદ શમી (14 રનમાં 2 વિકેટ) અને હાર્દિક પંડ્યા (16 રનમાં 2 વિકેટ)એ શાનદાર બોલિંગ કરી હતી. ઝિમ્બાબ્વે માટે રેયાન બર્લ (35) અને સિકંદર રઝા (34)એ છઠ્ઠી વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી હતી. આ બે સિવાય કોઈ બેટ્સમેન 20 રનના આંકને પણ અડી શક્યો નહોતો.
0 Comments